આણંદ જિલ્લામાં માઈક સીસ્ટમ/વાજીંત્ર લે-વેચ કરનારે તેના ઉપયોગ કરતા સમયે સાઉન્ડલીમીટર લગાડવાનું રહેશે

હિન્દ ન્યુઝ, આણંદ  

    આણંદ જિલ્લામાં કોઈ પણ પ્રકારની શાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ અને સલામતિ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માઈક સીસ્ટમ થકી થતાં અવાજના પદૂષણને અટકાવવા અંગે કેટલાક પ્રતિબંધો દર્શાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, આણંદ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામાં અન્વયે માઈક સીસ્ટમ ભાડે આપનાર માલિક/ભાગીદાર, સંચાલક, મેનેજર, ઇવેન્ટ મેનેજર સમગ્ર આણંદ જિલ્લાના હુકમતના વિસ્તારમાં વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાકોની પાસે નજીકમાં આવેલ ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઈક સીસ્ટમ ભાડે આપી શકશે નહી.

હોસ્પીટલો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ઘેરાવાનાં વિસ્તારને શાંત તરીકે ગણવામાં આવે છે જેથી શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક સીસ્ટમનો ઉપયોગ થઈ શકે નહીં.એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમ્યુનલ લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો /ગાયનોનો માઈક સીસ્ટમમાં ઉપયોગ કરવો નહીં.રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફીકને અડચણ ન થાય તથા ટ્રાફીકના તમામ નિયમો/ કાયદાઓનો અમલ કરવા તેમજ નાચગાન/ગરબા જાહેરમાર્ગમાં રોકાઈને કરવા નહી.ડી.જે. સીસ્ટમ એમ્બીઅન્ટ એર ક્વોલિટી સ્ટાનર્ડડ ઈન રીસ્પેકટ ઓફ નોઇઝ અંગે નામદાર સુપ્રિમ કોર્ટના વખતો વખતના ચુકાદાનાં નિર્દેશ તથા ધી નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ ૨૦૦૦ ના ઈન્વાયરમેન્ટ પ્રોટેકશનની જોગવાઈ મુજબ એમ્બીઅન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ હોવુ જોઈએ તે જોતા ડી.જે.સીસ્ટમ વગાડવા માટે ઉપર જણાવેલ તમામ પ્રાવધાનો અને જોગવાઈઓનો ઉલ્લંઘન કરતા હોય તેવુ જાહેર જગ્યાએ ખુલ્લા સ્થળોએ વગાડવા પર પ્રતિબંધ છે.પરંતુ શરતોને આધિન અગાઉથી અધિકૃત પરવાનગી મેળવેલ હોય તેની આધારે ઉપરોકત પ્રતિબંધમાંથી છૂટછાટ રહેશે.

માઈક સીસ્ટમ વગાડવા માટે તેના માલિક/ભાગીદારે પરવાનગી અરજી સંબંધિત મામલતદાર કચેરી ખાતે અરજી ૭-દિવસ પહેલા કરી પુર્વ મંજુરી મેળવી લેવાની રહેશે અને આપેલ શરતોનો ચુસ્તપણે બીનચુક અમલ કરવાનો રહેશે અને શરતોનો ભંગ થયે પરવાનગી રદ બાતલ થયેલ ગણાશે. વરઘોડા/રેલી સમય દરમ્યાનમાં ઉપરોકત શરતોનો ભંગ કરે અથવા કોઈ બનાવ બને તો તેની જવાબદારી પરવાનેદારની રહેશે. આણંદના વિસ્તારની અંદર જાહેર જગ્યામાં અથવા તો જાહેરમાં સાંભળી શકાય તેવી જગ્યામાં માઈક સીસ્ટમ/વાજીંત્રનો ઉપયોગ અધિકૃત કરેલ અધિકારીની લેખીત પરવાનગી સિવાય કરી શકાશે નહી. તેમજ અવાજનું પ્રદુષણ ફેલાવી શકશે નહીં.આવી પરવાનગી માટેની અરજી લેખિત હોવી જોઈએ અને તેનો ઉપયોગ કરનાર વ્યકિતની તેના ઉપર સહી હોવી જોઈએ.આવી પરવાનગીની અરજી તેનો ઉપયોગ કરવાના હોય તે દિવસના સાત દિવસથી ઓછા નહી તેટલા સમય પહેલાં પરવાનગી કાઢી આપવા માટે અધિકૃત અધિકારીને અરજી કરવાની રહેશે.પરંતુ વાજબી કારણ દર્શાવતા સાત દિવસ કરતા ઓછા સમયની અંદર માંગવામાં આવેલ પરવાનગી, તેમ કરવા માટે અધિકૃત અધિકારી, પોતાની વિવેક બુધ્ધિ અનુસાર આપી શકશે. અરજદાર અથવા તેના પ્રતિનિધિએ મળેલ પરવાનગી સાથે માઈક સીસ્ટમ વાજિંત્રનો ઉપયોગ થાય તે સમયે ઉપરોકત જાહેર જગ્યા ઉપર હાજર રહેવું પડશે. ફરજ ઉપરના પોલીસ અધિકારી આ અંગેની જોવા માંગે ત્યારે પરવાના ધારકોએ તે રજુ કરવાનો રહેશે.માઈક સીસ્ટમ/વાજીંત્રનો ઉપયોગ પરવાનગી મેળવીને ઉપરોકત અવાજની માત્રા દર્શાવતા શીડયુલ પ્રમાણે સવારના ૦૬:૦૦ કલાકથી રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી જ થશે.અવાજ પ્રદુષણ (નિયમ અને પ્રતિબંધ) નિયમ ૨૦૦૦ની જોગવાઈઓ પ્રમાણે સામાન્ય રીતે માઈક સીસ્ટમ/વાજીંત્રનો ઉપયોગ રાત્રીના ૧૦:૦૦ કલાક થી વહેલી સવારના ૦૬:૦૦ કલાક સુધીના સમય દરમ્યાન વગાડી ન શકાય તેવી જોગવાઈઓ હોઈ આ સમય માટે માઈક સીસ્ટમ/વાજીંત્ર માટે કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં. નોંધ :-ઉપરોકત નિયમોની જોગવાઈઓ પ્રમાણે દર વર્ષે સરકાર તરફથી નકકી કરેલ દિવસો દરમ્યાન આવી પરવાનગી રાત્રીના ૧૦:૦૦ વાગ્યાની જગ્યાએ રાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધી મળી શકશે.કોઈપણ વિસ્તારમાં ઘોંઘાટ/ અવાજનો હવામાનમાં પ્રમાણ ધ્વનિ પ્રદૂષણ નિયમો-૨૦૦૦માં જણાવ્યા મુજબના ડેસીબલ પ્રમાણે દિવસ તથા રાત્રિ દરમ્યાન નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે તે પ્રમાણે રાખવાનું રહેશે. પરવાનેદારે આ માત્રાનો ભંગ ન થાય તે જોવાનું રહેશે.કોઈ ઓડીટોરીયમ, કોન્ફરન્સ હોલ, કોમ્યુનીટી હોલ કે ખાનગી મકાન જેવા બંધ સ્થળો વિગેરેમાં માઈક સીસ્ટમ અંદરના ભાગે વગાડવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ તેનો અવાજ જે તે સ્થળથી બહાર જવો જોઈએ નહીં. મંદિરો, ચર્ચ અને મસ્જીદોમાં માઈક સીસ્ટમ/વાજીંત્રની અવાજ એ રીતે મર્યાદીત કરેલ હોવો જોઈએ કે સંકુલની હદ બહાર જાય નહીંગતિમાન વાહનમાંથી કોઈપણ માઈક સીસ્ટમ/વાજીંત્રનો ઉપયોગ મામલતદાર તરફથી અધિકૃત કરેલા અધિકારીની પરવાનગી સિવાય કોઈપણ હેતુ માટે વાપરવો નહીં. અથવા ચલાવવો નહીં. માઈક સીસ્ટમ વાજીંત્રનો પરવાનો ધરાવનાર વ્યકિત, આસપાસના રહેવાસીઓ અથવા રાહદારીઓને અડચણ,હરકત, અગવડ, જોખમ, ભય અથવા નુકશાન અટકાવવા માટે પોલીસ અધિક્ષક, આણંદ અથવા તેઓના તરફથી અધિકૃત કરેલ કોઈ પણ અધિકારી તેને યોગ્ય લાગે તેટલી મુદત માટે કોઈપણ જગ્યાએ પરવાનો ધરાવનારને માઈક સીસ્ટમ/વાજીંત્ર વાપરવા મના કરવાનો હુકમ કરી શકશે.ગુજરાત સરકારના અસાધારણ પત્ર નં.૩૩૩ પાર્ટ IV-C નં.GPCB/LGL/NGT:GENERAL:115(2)/528796 તા.૦૩/૧૨/૨૦૧૯ની સુચના મુજબ કોઇપણ ઉત્પાદક/ડીલર/શોપકીપક કે કોઇપણ એજન્સી માઈક સીસ્ટમ/વાજીંત્રને વેચાણ/ખરીદી/સપ્લાય/ઇન્ટોલ કે ઉપયોગ કરતા સમયે તેના ઉપર સાઉન્ડલીમીટર લગાવવાનું રહેશે.

      આ હુકમ તા. ૧૫ એપ્રિલ ૨૦૨૪ના રાત્રીના ૧૨ વાગ્યા સુધી અમલમાં રહેશે.જિલ્લાના કોઈ પણ વ્યક્તિને આ હુકમના ભંગ બદલ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment